વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોરબીના વિરપરડા ગામે પહોંચતા ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા ; વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા
રાજ્યભરમાં ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત મોરબીનાં વિરપરડા ગામે રથનું ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ટંકારા ધારાસભ્યએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ રથ દ્વારા સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, એસ.બી.આઇ. જન સુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ અને ‘વસુધૈવ કુટુમ્બકમ’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોએ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ લાભની ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત વાત કરી હતી.ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિરપરડાનાં ગ્રામજનો સૌ ઉપસ્થિતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું. તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પને સાકાર કરવા શપથ લીધા હતા.
આ પ્રસંગે ટંકારાનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, સરપંચ, અગ્રણીઓ, સરકારી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.