મોરબી નાં સુધારાવાળી શેરી માં આવેલા મોરબી નગરપાલિકા ફાયર ઓફિસ સ્ટેશન ખાતે આજ રોજ વિશ્વ અગ્નિશમન દિવસની કરવામાં આવી હતી. જ્યાં ફાયર ઓફીસર દેવન્દ્રસિંહ જાડેજા અને અન્ય ફાયરકર્મીઓ દ્વારા અગ્નિશમન સેવા નાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

આ દિવસની ઉજવણી પાછળના હેતુની વાત કરીએ તો તા.૧૪મી એપ્રિલ ૧૯૪૪ ના રોજ મુંબઈ ડોડ્યાર્ડ માં વિસ્ફોટક ભરેલ દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલ એક “એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન” બ્રિટીશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આ આગ બુઝાવાની કામગીરી દરમ્યાન મુંબઈ ફાયર બ્રિગેડના ૬૬ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું. સાથે ૩૦૦થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા.કુદરતી હોનારતો અને માનવસર્જીત હોનારતોમાં લોકો નાં જાન-માલ નું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી. ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી-અનામી શહીદોની યાદ માં ભારત સરકારના આદેશથી દર વર્ષે ૧૪મી એપ્રિલ ને “અગ્નિશમન સેવા દિન” તરીકે મનાવી અગ્નિશમન સેવા નાં તમામ નામી-અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.
