બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે સોમવારે બંગાળ વિધાનસભાની ચૂંટણી બાદ ત્રીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનેલા મમતા બેનર્જીના કેબિનેટ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલે રાજભવનના થ્રોન હોલમાં મમતા બેનર્જીની હાજરીમાં સવારે 10:45 વાગ્યે કુલ 43 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. મંત્રીમંડળમાં આઠ મહિલાઓ છે. બીજી તરફ ત્રણ મંત્રી અમિત મિત્રા, બ્રાત્ય બસુ અને રથિન ઘોષે કોવિડ-19થી સંક્રમિત થવાને કારણે વર્ચ્યુઅલ રીતે મંત્રી તરીકે શપથ લીધા હતા. 43 સભ્યોની નવી કેબિનેટમાં અગાઉની સરકારમાં મંત્રી રહેલા અનેક જૂના ચહેરાને પણ આ વખતે તક આપવામાં આવી છે. મંત્રીમંડળમાં એવા 18 નવા ચહેરા પણ છે જેમને પહેલી વાર તક આપવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહમાં 43 સભ્યોની કેબિનેટમાં અનેક નવા ચહેરા છે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર મનોજ તિવારી, ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી હુમાયુ કબીરનો સમાવેશ થાય છે, જેઓ પહેલી વાર મમતા બેનર્જીના મંત્રીમંડળમાં જોડાયા છે. પૂર્વ નાણામંત્રી અમિત મિત્રાએ આ વખતે સ્વાસ્થ્યના કારણોસર ચૂંટણી લડી ન હતી પરંતુ આમ છતાં તેમને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. મંત્રીમંડળમાં 24 કેબિનેટ મંત્રીઓ, 10 ને સ્વતંત્ર પ્રભાર અને 9 રાજ્ય હોદ્દાના મંત્રી સામેલ છે. શપથગ્રહણ સમારોહ પછી રાજ્ય સચિવાલયમાં બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ છે. આ બેઠકમાં જ તમામ મંત્રીઓના પોર્ટફોલિયોનું વિભાજન કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતા બેનર્જી ખુદ ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગને જાળવી રાખશે જ્યારે જૂના મંત્રીઓના પોર્ટફોલિયોમાં કેટલાક ફેરબદલ થઈ શકે છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)